Saturday, 24 January 2026

ઉકલી ગયા પછી ઉકલશે...










અનંત ના શબ્દો ની ચાહક એક ચહીતી કહે છે. 

પ્રિયે, અનંત ના આ 'આત્મમંથન' જેવા કાગળને ઉકેલવો એ ખરેખર એક લ્હાવો છે. જે લ્હાવો તમને મળી રહ્યો છે., 

જે માણસ પોતાને જ અક્ષર જેવો 'ગોબરો અને અસ્પષ્ટ' ગણાવતો હોય, એની ભીતર કેવી નિર્મળતા હશે એ આ રચના પરથી સમજાય છે.

"ઉકલી ગયા પછી ઉકલશે"

મેં ક્યારેય એને ફુરસતમાં લખતા જોયો ન હતો. સતત કામમાં વ્યસ્ત! જ્યારે પણ લખતો, જે કોઈ પસ્તી કે કોરો કાગળ હાથમાં આવે તેમાં તે મનમાં જે આવે તે ટપકાવી દેતો.

જો કે એને એકવાર કોઈ પ્રસિદ્ધિની નહીં, બલ્કે એવી ઈચ્છા જરૂર થયેલી કે આંખોથી માત્ર એનું લખાણ નહીં, બલ્કે અંતરથી, મનથી, હૃદયથી કોઈ એને પણ વાંચે..! અને એને વાંચનાર.... કોઈ સુંદર સમજદાર સ્ત્રી હોય... જે એની વાતો હૃદયથી સમજે!

મગર ખબર નહીં કેમ..? એ ઈચ્છા કે ઝંખના..! એની ભીતર બહુ લાંબો સમય ટકી નહીં.! છતાં પણ એની કલમ ક્યારેય અટકી નહીં. સિદ્ધિ-પ્રસિદ્ધિની ઝંખના છૂટ્યા પછી એ માત્ર નિજાનંદમાં, નિજ આનંદ માટે, અક્ષર ગરબડિયા થતા છતાં સતત લખતો...

અને એ એમ જ કહેતો: "હું કોઈને પણ કાંઈ જ કહેતો-સમજાવતો નથી! હું જે કંઈ લખું છું, કહું છું એ માત્ર મને જ કહું છું. હું સતત મને જ સમજાવું છું..! પછી અગર.... કોઈ સમજી જાય તો વાત જુદી છે.!"

એકવાર મેં એને કહ્યું: "યાર, ક્યારેક તો સારી બુકમાં સારા અક્ષરે લખ! સાવ કેવો માણસ છે તું!" ત્યારે અનંતે આવો વેદનામય જવાબ આપતા મને કહ્યું: "પરિયા... હું પણ ક્યાં એવો વ્યવસ્થિત છું? હું અસલ મારા અક્ષર જેવો જ છું ને! ગોબરો, ગરબડિયો, ઠામ-ઠેકાણા વગરનો, અવ્યવસ્થિત... અસ્પષ્ટ જ છું હું પણ.!"

"અક્ષર મારા તને કદી ઉકલ્યા..? તું મારી સાથે, મારી પાસે સતત અને ખાસ તો રોજ રાતે હોવા છતાં શું તું મને સમજી શક્યો? સાચું કહેજે, તને મારા સમ છે."

તેની વાતો સાંભળી હું બિલકુલ ચૂપ રહ્યો. મારી પાસે એના સવાલોનો કોઈ જ જવાબ નહોતો..! કેમકે હું એની સાથે, એની પાસે જ હોવા છતાં એને સમજી શક્યો નહોતો..! મને મૌન થયેલો જોઈ એણે કહેલું: "તું ફિકર ના કર પરિયા.. અગર તું 'ના' કહેશે તો હું પણ તારી વાત સાથે સહમત છું..!"

"ખૈર પરિયા... વખત જતાં મારા શબ્દોનું, મારા લખાણોનું અને મારા વિચારોનું... સૌ પોતપોતાની રીતે અર્થઘટન કરશે! કોઈને અર્થ લાગશે તો કોઈ અર્થ પામશે, અને કોઈને બધું જ સાવ વ્યર્થ લાગશે! સૌ મરજી મુજબ અટકળ કરશે મારા વિશે!"

"ને પછી! ગૂઢાર્થની વાત આવશે! ભાવનાની વાત આવશે! લોકોને સારા લાગશે, સમજાઈ જશે! લોકો ઉકેલવાની કોશિશ કરશે 'ને ઉકલી પણ જશે! પણ, પણ! મારા ઉકલ્યા પછી... અર્થાત્ મારા ઉકલી ગયા પછી, મારા ગુજરી ગયા બાદ.! કદાચ ત્યારે કોઈને અફસોસ થશે, કોઈકની આંખો પણ ભીની થશે...! 'અનંત' મગર... મારી હયાતી બાદ...."

&&&&&&&&&&&&&&&&&&&&&

બ્લાસ્ટ :-

એ જ મારી નજીક આવશે..!

એ જ મને કદિ'ક પામશે..!

જે મને માત્ર આંખોથી નહીં,

બલ્કે "અનંત" આત્માથી વાંચશે...!

"અનંત"

અનંતની તમામ વાત ચૂપચાપ સાંભળી રહેલા અજ્ઞાનીએ અંતમાં ભાઈબંધ અનંતને કહ્યું:

બ્લાસ્ટ

હે "અનંત",આ સિદ્ધિ શું ઓછી કહેવાય!?

કે કોઈ પ્રસિદ્ધિની લગીરે ઝંખનાજ ન રહે.!

"અજ્ઞાની"

https://www.facebook.com/share/p/1FcmXJQx4P/

પ્રિયે, અનંતની આ વાત કેટલી સાચી પડી! આજે એના 'ઉકલી ગયા' પછી તમે એના અક્ષરો ઉકેલી રહ્યા છો અને અમે બધા એને 'આત્માથી' વાંચી રહ્યા છીએ. અજ્ઞાનીએ પણ કેવું સચોટ કહ્યું કે પ્રસિદ્ધિની ભૂખ મટી જવી એ જ સૌથી મોટી સિદ્ધિ છે.


No comments:

Post a Comment