પેટની અને પ્રેમની ભૂખ
"અનંત" પ્રેમથી પેટ ભરાય ના.
ભરાય પેટ ભોજનથી.
કદાચ પેટ ભરાઈ જાય, પણ પ્રેમથી મન ધરાય ના "અનંત"!
મધરાતે ખંડેર મધ્યે ચા પીતાં પીતાં ઉપર લખ્યું એ વર્ષો પહેલાં ખુદ અનંત બોલ્યો હતો. ત્યારે પણ હું કશું જ સમજ્યો નહીં. મને એમ કે અનંતને ભૂખ લાગી હશે અને ભોજન કરવાની ઈચ્છા હશે. 'અક્કલે', આદતવશ અટપટું કહે છે, સીધેસીધું નથી કહેતો કે મને ભૂખ લાગી છે!
અક્કલે મેં અનંતને કહ્યું, "લે, તો વહેલું કે'વાય ને! તો હું ચા સાથે નાસ્તો પણ લેતો આવત ને!"
અનંત કશું જ બોલ્યો નહીં.
અક્કલે મેં ચાની ચૂસકી ભરતાં અનંતને પૂછ્યું, "કેમ આજે તને અડધી રાત્રે ભૂખ લાગી છે કે અનંત?"
અનંત ચૂપ જ રહ્યો. અક્કલે એના વતી અજ્ઞાનીએ મને કહ્યું, "ના પરિયા, એને ભોજનની ભૂખ નથી લાગી."
મેં અનંત સામે જોઈ અનંતને પૂછ્યું, "તો...?"
"એને પ્રેમની અતિ ભૂખ લાગી છે!" ફરી અજ્ઞાનીએ અનંત વતી જવાબ આપ્યો.
"તું શા માટે જવાબ આપે છે! મેં તને પૂછ્યું છે...!" તું ચૂપ બેસ! અનંતની ભલામણ રહેવા દે." અનંત વતી જવાબ આપતા અજ્ઞાની પર મને ગુસ્સો આવ્યો. મેં અનંતને પૂછ્યું છે, અનંતને જ જવાબ દેવા દે... મને કોઈ વતી કોઈ જવાબ આપે તે ન ગમે, એટલે હું અજ્ઞાનીને વઢ્યો.
પછી ફરી મેં અનંતને પૂછ્યું, "બોલ ને લ્યા, શું તને ખરેખર ભૂખ લાગી છે? તો નાસ્તો લેતો આવું."
ધીમા સ્વરે અનંતે કહ્યું, "અજ્ઞાની સાચો છે પરિયા! તું એની વાત સાંભળ અને સમજ!"
મારા સવાલનો ખુદ જવાબ આપવાને બદલે અનંતે મને અજ્ઞાનીની વાત સાંભળી સમજવાનું કહ્યું, એટલે મને અનંત પર પણ ગુસ્સો આવ્યો. એટલે મેં અનંતને કહ્યું, "મારે કશું સમજવું નથી, હું જાઉં છું, મને ઊંઘ આવે છે! તમે જ આપસમાં સમજી લ્યો!"
હું ગુસ્સે થઈ ચાલ્યો ગયો, પણ પછી આખી રાત મારી ભીતર અનંતના શબ્દો પડઘાતા રહ્યા: "અનંત" પ્રેમથી પેટ ભરાય ના ભરાય, પેટ ભોજનથી. ભોજનથી કદાચ પેટ ભરાઈ જાય, મગર પ્રેમથી મન ધરાય ના.
આખરે શું કહેવા માંગતો હતો, સાલું બહુ અટપટું, અઘરું, અધૂરું... ખેર... કાલે મર્મ જાણી લઈશ, આમ વિચારી હું પોઢી ગયો.
સવારે ઉઠ્યો ત્યારથી હું રાત પડવાની રાહ જોતો રહ્યો. અંતે રાત ઢળી અને હું ચા સાથે નાસ્તો પણ ભેગો લઈને ખંડેર પર ગયો. કેમકે ગઈ રાત્રે અનંતને ભૂખ લાગેલી.
સાંકડી ગલીમાં છેક ભીતર આવેલ ખંડેર જેવા ઘરના અર્ધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી હું ભીતર પ્રવેશ્યો અને ફટાફટ મારી ખુરશી પર બેસી હું ઝડપથી ચાની પ્યાલી ભરવા લાગ્યો.
આ જોઈ અજ્ઞાની બોલ્યો, "લ્યા, કેમ આજે કશું બોલ્યા વિના ફટાફટ ચા ભરે છે?"
મેં કહ્યું, "યાર, મારી આંખ ભારે છે. કાલે રાત્રે મને બરોબર ઊંઘ નથી આવી. રાતભર અનંતના અટપટા, અઘરા, અર્ધ-અધૂરા શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા છે: "અનંત" પ્રેમથી પેટ ભરાય ના ભરાય, પેટ ભોજનથી. ભોજનથી કદાચ પેટ ભરાઈ જાય, મગર પ્રેમથી મન ધરાય ના. હું સમજી નથી શક્યો એના કહેવાનો મર્મ."
ચાની ચૂસકી ભરી અજ્ઞાની બોલ્યો, "કશું અટપટું, અઘરું, કે અર્ધ-અધૂરું નથી પરિયા..."
"અચ્છા, તો તું સમજી ગયો છે એમને! તું અગર અનંતની વાત સમજી ગયો હોય તો, ચાલ એનો મર્મ મને સમજાવ..." મેં કહ્યું.
અનંત ચા પીવામાં મસ્ત મશગૂલ હતો.
અજ્ઞાનીએ મને અનંતે કહેલી વાતનો મર્મ સમજાવતા કહ્યું, "પરિયા, તને યાદ છે! એકવાર અનંતે પોતાના નામનો બખૂબી ઇસ્તેમાલ કરીને કહ્યું/લખ્યું હતું કે: 'ઉમ્ર ભર નહીં મિટતી "અનંત".... યે દો ભૂખ! એક પ્રેમી કી ઈચ્છા ઔર દૂજે પ્રેમી સે હુંફ!'"
મેં કહ્યું, "હા... હા... યાદ આવ્યું..."
અજ્ઞાનીએ કહ્યું, "બસ તો પછી, આ એના જેવું જ છે... અનંતના કહેવાનો મર્મ એ જ છે કે... માણસને જીવવા માટે પ્રેમ અને ભોજન બન્ને અતિ જરૂરી છે કિન્તુ..."
અજ્ઞાની થોડી વાર મૌન થઈ ગયો અને હું અકળાયો.
મેં અકળાતા સ્વરે કહ્યું, "યાર, આગળ ચલાવ! આમ કિન્તુ કહીને અટકી ન જા!"
"કહું છું યાર, જરા શાંતિ રાખ! મારે પણ પહેલા ગોઠવવું સમજવું પડે! જે વાત હું બરાબર ના સમજ્યો હોઉં, એ તારા જેવા અક્કલ વગરનાને કેમ સમજાવું!"
ખરેખર મારામાં અક્કલ ઓછી છે એ હકીકતને સહજ સ્વીકારતા મેં કહ્યું, "હા, હવે બહુ લાંબું ના ખેંચ. મારામાં ઓછી છે તો તું થોડી તારી બુદ્ધિ ઉધાર દઈ દે..."
"વેડફાઈ જશે નકામી...!" અજ્ઞાનીએ વ્યંગમાં સત્ય કહ્યું.
એ પણ મેં સહર્ષ સ્વીકારતા કહ્યું, "હા યાર... તારી એ વાત પણ સાચી જ છે! વાપરીએ નહીં એ આખરે વેડફાઈ જ જાય: બુદ્ધિ હોય, ધન હોય કે પ્રેમ!"
"પણ હવે તું મને એ સમજાવ કે, અનંત કાલે રાત્રે જે બોલ્યો હતો, "અનંત" પ્રેમથી પેટ ભરાય ના ભરાય, પેટ ભોજનથી. ભોજનથી કદાચ પેટ ભરાઈ જાય, મગર પ્રેમથી મન ધરાય ના, એનો મર્મ શું...?"
અજ્ઞાનીએ કહ્યું, "હા તો સાંભળ પરિયા... માણસને જીવવા માટે પ્રેમ અને ભોજન બન્ને અતિ જરૂરી છે કિન્તુ... માત્ર પ્રેમથી કે માત્ર પેટ ભરવાથી જીવન પસાર ના થાય. અને બીજું કે, ભોજનથી પેટ ભરાઈ જાય પણ... પ્રેમની ભૂખ એવી છે, પ્રેમ ચીજ જ એવી છે કે... જેનાથી ક્યારેય મન ભરાતું કે ધરાતું જ નથી!"
"બીમારીમાં માણસ જમવાનું છોડી દે પણ પ્રેમ કરવાનું છોડી ના શકે. અને બીમારી વખતે જો કોઈ પ્રેમ/હૂંફ આપનાર પાસે હોય તો, તે બીમારની સાજુ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે..."
અમે બન્ને વાતો કરતા રહ્યા અને અમને જગાડનાર અનંત તો, એ.એ.એ.ય ને, ખુરશી પર જ નિરાંતે ઢોળાઈ ગયો હતો...!
અંતિમ વિચાર
વર્ષો પહેલાં અજ્ઞાનીના અનંત ઊંડાણેથી છેક સપાટી પર આવેલું કડવું સત્ય:
"અપવાદ બાદ કરતાં"
બે વ્યક્તિ, એક સ્ત્રી અને એક પુરુષ... સાથે રહે છે એટલે એકબીજાને પ્રેમ કરે છે? કે, પ્રેમ કરે છે એટલે એકબીજા સાથે રહે છે? અને જો સાથે રહે છે તો શું સાચે જ બન્ને વચ્ચે પ્રેમ છે???
આ સવાલોનો સાચો જવાબ ક્યારેય કોઈ શોધી કે આપી નહીં શકે! અગર જો કોઈ જવાબ આપશે તો એ સાચો નહીં જ હોય. આ સવાલોનો જે કોઈ પણ જવાબ આપશે, તે સાચો જ છે એવું માની લેવું નાદાની હશે!
"અપવાદ બાદ કરતાં"
જો બે વ્યક્તિ લાંબો સમય સાથે રહેતી હોય અને લાંબો સમય સાથે જ ટકી રહેતી હોય તો... બન્ને વચ્ચે પ્રેમ જ કારણ હોય એવું સમજવું ભૂલ ભરેલું છે. બની શકે કોઈ એકની મજબૂરી હોય અને બીજાની લાગણી. એકની મજબૂરી અને બીજાની લાગણી એકબીજાને સાથે રહેવા મજબૂર કરતી હોય. એ સિવાય પણ ધાર્યા કરતાં અસંખ્ય જુદા જુદા કારણો એક સ્ત્રી અને એક પુરુષને સાથે રહેવા માટેના હોઈ શકે છે.
સાથે રહેવાની સૌથી મોટી મજબૂરી કદાચ એ પણ હોય છે કે, બન્ને પરણી ગયા હોય છે. બાકીના કારણો પરણવાને કારણે પેદા થયેલા હોય છે. "બે અર્થમાં"
"અપવાદ બાદ કરતાં"
"સાથે રહેતા બે પુરુષ કે બે સ્ત્રી કે કોઈ પણ બે કે તેથી વધુ, સાથે રહેતી હર એક વ્યક્તિ માટે પણ આવું જ સમજવું. માત્ર પ્રેમ અને પ્રેમ જ કારણ હોય એવું ભાગ્યે જ બને છે."
https://www.facebook.com/share/p/1JdUKn51Cv/
No comments:
Post a Comment